તુવેરના વાવેતરને પ્રોત્સાહન આપવા સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ઠોળના ભાવ સતત વધી રહ્યા છે. સરકારે ભાવને નિયંત્રણમાં રાખવા વિવિધ પગલાં લીધાં છે. એમાં નિકાસ પર નિયંત્રણો, આયાતમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં વિવિધ ક્ઠોળમાં સૌથી વધુ વપરાશ તુવેરનો થાય છે. આગામી સમયમાં તુવેરની સપ્લાયની સમસ્યા ઊભી ન થાય એ માટે સરકારે ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રાલયનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મોટા પાયે બફર સ્ટોક ઊભો કરવા માટે આ તુવેરની ખરીદી કરવામાં આવશે.

સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરશે : તુવેરના ભાવ એક વર્ષમાં કિલોદીઠ ૪૦ ટકા વધ્યા…

છેલ્લા એક વર્ષમાં તુવેરના કિલો દીઠ ભાવ રૂ. ૧૧૨ થી ૪૦ ટકા કરતાં વધુ વધીને રૂ. ૧૫૫ના લેવલે પહોંચ્યા છે.

સરકાર આ તુવેરની ખરીદી નાફેડ અને એનસીસીએફ દ્વારા કરશે. આ બન્ને સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરશે.

આગામી સમયમાં ભાવમાં વધુ વૃદ્ધિ થશે ત્યારે સરકાર તુવેરના આ જથ્થામાંથી બજારમાં વેચાણ કરશે. જેથી ભાવ નિયંત્રણમાં આવી શકે.

નાફેડ પાસે ખેડૂતોનો મોટા પાયે ડેટા બેઝ છે. જે ખેડૂતો તુવેરનો પાક લે છે એમનો સંપર્ક કરવા નાફેડ આ ડાટાબેઝનો ઉપયોગ કરશે.

તુવેરની ખરીદી માટેના નાણા પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ (પીએસએફ)માંથી લેવામાં આવશે. બજારમાં તુવેરની શોર્ટેજ છે એટલે સરકાર તુવેરની આ ખરીદી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઈસ) મુજબ નહીં પણ બજાર ભાવે કરશે.

સરકારના આ પગલાંને કારણે ખેડૂતોને એ ખાતરી મળશે કે સરકાર બજાર ભાવે તુવેરની ખરીદી કરશે. આને કારણે ખેડૂતોને તુવેરનું વાવેતર કરવા માટે પ્રોત્સાહન મળશે.

આ વર્ષે કઠોળનો ખાસ કરીને તુવેર અને અડદનો પાક ઓછો થવાની ગણતરી છે. એટલે સરકારે તુવેર અને અડદની ડ્યૂટી ફ્રી આયાતની પૉલિસીની મુદત જાન્યુઆરી, ર૦ર૩માં ૩૧ માર્ચ, ર૦ર૪ સુધી લંબાવી હતી. સ્થાનિક બજારમાં ઉપલબ્ધતામાં વધારો કરવા તેમ જ ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૨ લાખ ટન તુવેર દાળની આયાત કરશે, જે ગયા વર્ષ કરતાં ૩૫ ટકા વધુ હશે.

તુવેરના ઉત્પાદન કરતાં વપરાશ વધારે છે, અન્ય કઠોળની સરખામણીએ તુવેરના ઉત્પાદન કરતાં વપરાશ વધારે છે. પાક વર્ષ ર૦રર-ર૩ (જુલાઈથી જૂન)માં તુવેરનું ઉત્પાદન ર૦ ટકા ઘટીને ૩૪.૩૦ લાખ ટન થયું ળો જે ગયા વર્ષે ૪૨.૯૦ લાખ ટન થયું હતું. વર્ષ ર૦ર૩-ર૪ માટેના પ્રથમ અંદાજ મુજબ તુવેરનું ઉત્પાદન આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછું થશે. ભારતમાં તુવેરનો વાર્ષિક વપરાશ ૪૫ લાખ ટન જેટલો છે.

સરકારના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં ૭.૭૮ લાખ ટન તુવેરની આયાત કરવામાં આવી છે. સૌથી વધુ આયાત મોઝામ્બિકથી ર.૬ર લાખ ટનની કરવામાં આવી છે. મ્યાનમારથી ર.૫૩ લાખ ટન અને તાન્ઝાનિયાથી ૧.૩૮ લાખ ટન તુવેરની આયાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment