કપાસમાં વધુ આવક છતાં ભાવ વધતા રહે એવી સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂ બનાવતી જીનોના સંગઠન કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ રૂના ઉત્પાદનનો અંદાજ ૬૦ લાખ મણ વધારીને ૮૬.૦૪ કરોડ મણનો મૂક્યો હતો, અગાઉનો અંદાજ ૮૫.૪૪ કરોડ મણનો હતો.

ગુજરાતમાં કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા ના અંદાજ અનુસાર ૨૨.૫૬ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થવાનું છે જેમાંથી અત્યાર સુધીમાં ૮.૮૮ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થઇ ચૂક્યું છે જે ગત્ત વર્ષે આ સમયે ૬.૮૮ કરોડ મણ થયું હતું.

બે કરોડ મણ કપાસનું પ્રેસિંગ ગત્ત વર્ષ કરતાં વધારે થયું છે. ખેડૂતોને ગત્ત વર્ષે કપાસના ભાવ મણે રૂ।.૧૫૦ થી ૨૦૦ ખુલ્લા બજારમાં વધુ મળતાં અને ગુલાબી ઈયળના વધુ પડતાં ઉપદ્રવને કારણે ખેડૂતોએ વહેલો કપાસ બજારમાં વેચી નાખ્યો છે.

ગત્ત સપ્તાહે સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ મણે રૂ.૨૦ થી રપ વધ્યા હતા. સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ બોલાતા હતા અને કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૩૫ તેમજ આંધ્ર-કર્ણાટકના કપાસના રૂ।.૧૧૦૦ થી ૧૧૪૦ સુધીના ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રમાં એકદમ સુપર કપાસના જીનપહોંચ રૂ।.૧૧૭૦ થી ૧૧૭૫ના ભાવ બોલાતા હતા. કોટન એસોસીએસન ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૩૫ ટકા કપાસ બજારમાં આવી ગયો છે પણ વેપારીઓ છાતી ઠોકીને કહી રહ્યા છે.

સૌરાષ્ટ્રના બજારોમાં ખેડૂતોને ૭૦ ટકા અને ગુજરાતમાં ૬૦ ટકા કપાસના ખેડૂતો પાસેથી બજારમાં આવી ગયો છે. આમ, ખેડૂતો પાસે હવે ૩૦ થી ૩૫ ટકા જ કપાસ પડયો છે. જે ખેડૂતોને પૈસાની બહુ જરૂર હતી તેઓએ હવે કપાસ વેચી નાખ્યો છે.

હવે જેને બહુ પૈસાની જરૂર નથી અને ઊંચા ભાવે જ કપાસ વેચવો છે તેવા ખેડૂતો પાસે હવે કપાસ પડયો છે એટલે કપાસના ભાવ નહીં વધે તો કપાસની વેચવાલી બજારમાં આવશે નહીં. આમ, જીનર્સોને જો સારો કપાસ લેવો હશે તો તા.૧૫મી જાન્યુઆરી પછી ખેડૂતોને કપાસના ઊંચા ભાવ દેવાની તૈયારી રાખવી પડશે.

ગુજરાતના માર્કટયાર્ડોમાં હાલ રોજનો ત્રણ થી સવા ત્રણ લાખ મણ અને દેશાવરનો કપાસ તથા સીધા જીનપહોંચ કપાસના વેપાર થઇને રોજિંદી ૧૨ થી ૧૪ લાખ મણ કપાસના વેપાર થઇ રહ્યા છે.

આ કપાસના વેપારમાં તા.૧૫મી જાન્યુઆરી પછી બે લાખ મણ અને તા.૧૫મી ફેબ્રુઆરી પછી ચાર લાખ મણ કપાસના વેપાર ઓછા થશે તે નક્કી છે કારણ કે બે મહિના પછી ખેડૂતો પાસે એટલો કપાસ જ નહીં હોય કે રોજની આટલી આવક થાય.

સૌરાષ્ટ્રમાં હજુ પણ જુનો કપાસ રોજનો ૧૫૦૦ થી ૨૦૦૦ મણ વેચાઈ રહ્યો છે. હજુ દોઢ થી બે લાખ ગાંસડીનો જૂનો કપાસ સૌરાષ્ટ્રમાં પડયો છે. આની વેચવાલી પણ હજુ એકાદ મહિનો આવતી રહેશે.

તા.૧૫મી ફેબ્રુઆરી પછી કપાસની મળતર ઓછી થતાં ભાવ વધીને રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ થવાની પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાય છે. કપાસિયાતેલના અત્યાર સુધીમાં ન જોયા એટલાં ઊંચા ભાવ અને કપાસિયાખોળની હાલ સતત વધી રહેલી ઘરાકી કપાસના ભાવ વધવાના કારણમાં ઉમેરો કરી રહ્યા છે. વળી વિદેશી બજાર પણ સતત સુધરી રહી હોઇ કપાસના ભાવની તેજીને ટેકો મળતો રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment